રાજ્યના 1.41 કરોડ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, સમગ્ર દેશમાં ગુજરાત ચોથા ક્રમાંકે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સંયુક્ત પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૧.૪૧ કરોડ લાભાર્થીઓએ આયુષ્યાન કાર્ડ કઢાવીને ૫ લાખનું સુરક્ષા વીમા કવચ પોતાના પરિવારને અપાવ્યું છે.

ગુજરાતના અંદાજિત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ૪ કરોડ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા એક નવી પહેલ “આપ કે દ્વાર-આયુષ્માન” પણ આરંભવામાં આવી છે. આ પહેલ હેઠળ તા.૧૧/૦૭/૨૦૨૨ની સ્થિતિએ ગુજરાતના અંદાજિત ૧.૪૩ કરોડ લોકોનું વ્યક્તિગત આયુષ્માન કાર્ડ કાઢીને, ગુજરાત આ કામગીરીમાં પણ સમગ્ર દેશમાં ચોથા ક્રમે છે. જ્યારે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત દાવા ચૂકવણીમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમાંકે છે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના કોઇપણ જરૂરિયાતમંદ ગરીબ કે મધ્યમવર્ગીય દર્દીને સારવાર ખર્ચના કારણે દેવાદાર બનવું ન પડે તે માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૬ દિવસના સમયગાળામાં સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ૬૭,૨૫૭ જેટલા લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ કઢાવીને લાભ મેળવ્યો છે.

“PMJAY-MA” યોજના અંતર્ગત રાજ્યની ૧૮૭૫ સરકારી અને ૭૩૭ ખાનગી હોસ્પિટલોમાં ૨૬૧૨ જેટલી આરોગ્ય સેવાઓ અને સર્જરીની સારવાર આપવામાં આવી રહી છે. તા.૧૧ જુલાઇ ,૨૦૨૨ની સ્થિતિએ ગુજરાત ૫૩૬૩ કરોડની દાવા નોંધણી સાથે સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે હતું. જરૂરિયાતમંદ પ્રજાની સારવાર માટે વર્ષ ૨૦૧૮ થી અત્યાર સુધીમાં કુલ ૨૯.૭ લાખ દાવાઓ નોંધાયેલ છે, જે માટે કુલ રકમ રૂ. 5363 કરોડનો આર્થિક બોજો રાજ્ય સરકારે ઉપાડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ નિયત માપદંડો ધરાવતા રાજ્યના પરિવારો સરકારી હોસ્પિટલો જ નહીં પરંતુ શ્રેષ્ઠ અને અગ્રગણ્ય ગણાતી ખાનગી હોસ્પિટલોમાં અનુભવી ડોક્ટરો પાસેથી પણ સારવારનો નિ:શુલ્ક લાભ મેળવી શકે છે. વળી સરકારી હોસ્પિટલો પણ યોજના અંતર્ગત વધુમાં વધુ દાવાઓ નોંધાય તથા વધુમાં વધુ લાભાર્થીઓ પોતાની નજીકના સરકારી હોસ્પિટલોમા સારવાર લેવા માટે પ્રેરાય તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા “ગ્રીન કોરિડોર”ની વ્યવસ્થા કરવામાં આવી છે.

હાલમાં આ યોજના અંતર્ગત સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બિમારીઓ માટે કુલ ૨૬૮૧ જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે. લાભાર્થીઓને હોસ્પિટલમાં સારવાર લેવા માટે મુશ્કેલી ન સર્જાય તે માટે તમામ સંલગ્ન હોસ્પિટલમાં “પ્રધાનમંત્રી આયુષ્માન મિત્ર’ની નિમણુક પણ કરવામાં આવી છે.