જાણો આ તિથિએ ઉગતા સૂર્યની પૂજા કરવાથી પરેશાનીઓ થાય છે દૂર

પોષ મહિનામાં સૂર્ય પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. ગ્રંથો પ્રમાણે આ મહિના માં સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે. પોષ મહિનાના સુદ પક્ષની સાતમે સૂર્ય પૂજા કરવાનું અને અર્ઘ્ય આપવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસે સૂર્ય પૂજા અને વ્રત કરવાથી ઉંમર વધે છે. સાથે જ, દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થવા લાગે છે. પૂજા વિધિઃ સૂર્યોદય પહેલાં સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ લેવું. સાથે જ, લોટામાં લાલ ચંદન, લાલ ફૂલ, ચોખા અને થોડાં ઘઉંના દાણા પણ રાખવાં. ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો અને ઉગતા સૂર્યને આ લોટાનું જળ ચઢાવવું.

તે પછી ભગવાન ભાસ્કરને નમસ્કાર કરો. ગાયત્રી મંત્રનો જાપ કરો અને બની શકે તો આદિત્ય હ્રદયસ્ત્રોતનો પણ પાઠ કરો. આ સિવાય ભગવાન સૂર્યના 12 નામનો જાપ પણ કરી શકો છો. સૂર્ય સામે બેસીને આખો દિવસ મીઠા વિનાનું ભોજન કરવાનો સંકલ્પ લો. શક્ય હોય તો આખો દિવસ તાંબાના વાસણનું પાણી પીવું. આખો દિવસ વ્રત રાખો અને ફળાહારમાં પણ મીઠું લેશો નહીં. એક સમયે ભોજન કરો તો તેમાં પણ મીઠાનો ઉપયોગ ન કરો.

સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી શ્રદ્ધા પ્રમાણે ભોજન, વસ્ત્ર કે કોઈપણ ઉપયોગી વસ્તુનું દાન કરો. ગાયને ચારો ખવડાવવો અને અન્ય પશુ-પક્ષીને પણ ભોજનની કોઈ વસ્તુ ખવડાવો. પોષ મહિનાની સાતમના દિવસે સૂર્યને જળ ચઢાવવાથી બુદ્ધિ તેજ થાય છે અને માનસિક શાંતિ મળે છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આવી વ્યક્તિ ક્યારેય આંધળી, દરિદ્ર અને દુઃખી થતી નથી. સૂર્ય પૂજા કરવાથી રોગ દૂર થઈ જાય છે. આ દિવસે દાન કરવાથી પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી પિતા અને પુત્રમાં પ્રેમ જળવાયેલો રહે છે. આ દિવસે સામર્થ્ય પ્રમાણે ગરીબો અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ.