ઘરે પહોંચે એ પહેલા કાળ આંબી ગયો: 27 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત, ઘર નીચે જ મોત થતાં બહેનનું હૈયાફાટ રુદન

સુરત (Surat):સુરત માં આવી ઘટનાઓ અવારનવાર જોવા મળે છે .એમાં પણ ચોમાસાની સીજન શરુ થતા આવા કિસ્સાઓમાં  વધારો જોવા મળ્યો છે .મૂળ ઉત્તરપ્રદેશનો 27 વર્ષીય પ્રદીપ વર્મા છેલ્લા 27 વર્ષથી સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતો હતો. પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને માતાપિતા વતન રહેતા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પાણી ભરતા હતા અને કરંટ ગેસલાઇનની પાઇપમાં ઉતરી ગયો હતો. આ દરમિયાન નોકરી પરથી ઘરે આવેલા યુવકે ગેસલાઈન પકડતા કરંટ લાગ્યો હતો અને મોતને ભેંટ્યો હતો. પ્રદીપ સિલાઇનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આ ઘટનાના 15 દિવસ પહેલા જ પત્નીને વતન મોકલી હતી અને તે બે બહેનો સાથે રહેતો હતો. આ દરમિયાન પ્રદીપ નોકરી પરથી ઘરે પરત ફર્યો હતો અને ઘરે જવા સીડી સુધી પહોંચી રહ્યો હતો. જો કે, પાણી ભર્યું હોવાથી તે સાઈડમાંથી નીકળવા માટે ગેસની લોખંડની પાઇપ પકડતા જ તેને કરંટ લાગ્યો હતો.પ્રદીપને કરંટ લાગ્યો હોવાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા બચાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, બચાવવા જનાર એક યુવકને પણ જોરદાર કરંટ લાગતા તે ફેંકાઈ ગયો હતો. આ કારણોસર તેને ગંભીર ઇજા પણ થઇ હતી. ત્યારબાદ પાવર બંધ કરી 108ને બોલાવી પ્રદીપને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રદિપને મૃત જાહેર કર્યો હતો.

ભાઈનું અકાળે મોત થતાં બહેનનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું .પરિવારના મોટા દીકરાનું પણ સાત મહિના પહેલા મોત થયું હતું ત્યારે નાના દીકરાનું પણ અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

બંને બહેનો ભાઈનું મોત થતાં ભાંગી પડી હતી. સિવિલ હોસ્પિટલના બહેનના હૈયાફાટ રુદનના કારણે ગમગીની છવાઈ ગઈ હતી.