ગુજરાતમાં વધી જશે ભાવ જમીન અને મકાનોના, સરકાર લઈ રહી છે આ નિર્ણય

ગુજરાત સરકાર મહેસૂલી આવક વધારવા માટે જંત્રીના ભાવમાં વધારો કરવાની વિચારણા કરી રહી છે. નવા નાણાંકીય વર્ષથી નવી જંત્રી લાગું થાય તેવી શક્યતા છે. જેના કારણે આ વખતના બજેટનું કદ પણ વધી શકે છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ભવ્ય જીત બાદ સરકાર પોતાની આવક વધારવા માટે 11 વર્ષ પછી જંત્રીના નવા દર અમલમાં લાવી શકે છે. આ મામલે સત્તાવાર કવાયત શરૂ કરાઈ છે. સરકાર જંત્રીના દર સુધારશે, ચાલુ મહિનાથી સર્વેની કામગીરી શરૂ કરાય તેવી સંભાવના છે. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા જંત્રી સર્વે પૂર્વે કલેક્ટરોને જિલ્લામાં સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ કરીને રજૂઆતો મેળવવા સૂચના અપાઈ છે.

રાજ્ય સરકારે જાન્યુઆરી-૨૦૨૩માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે તમામ જિલ્લા ક્લેક્ટરોને જિલ્લાના સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગ યોજીને તેમના સૂચનો મેળવવા મહેસૂલ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, સરકારની આ કવાયત બાદ ૧૧ વર્ષ પછી નવી જંત્રીઅમલમાં આવી રહી હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. બિલ્ડરો આ મામલે વિરોધ પણ કરી રહ્યાં છે કારણ કે અફોર્ડેબલ મકાન બનાવવા મુશ્કેલ બની જશે. જંત્રી વધી તો ગુજરાતમાં જમીન અને ફ્લેટોના ભાવ આપોઆપ ઉંચકાઈ જશે અને કોમનમેન માટે ઘરનું ઘર વધારે દોહ્યલું બની શકે છે.

જંત્રી સર્વેની કામગીરી પૂર્વ જિલ્લા ક્લેક્ટરોને જિલ્લાના સ્ટે. સ્પેમ્પ અને અધિકારીઓ સાથે મીટિંગ યોજીને તેમના સુચનો રજૂઆત મેળવવા જણાવાયું છે. બાદમાં આ અંગેનો ક્લેક્ટરના અભિપ્રાય વિભાગમાં મોકલી આપવા માટે જણાવાયું છે. આગામી બજેટ સત્ર દરમિયાન આ જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં ભાજપની વિજય રૃપાણીની સરકારે પણ 2019માં જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો નથી.