Laal Singh Chaddha: ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પહેલા આમિરની ખરાબ હાલત, ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાને મંગળવારે કહ્યું કે તે તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ પહેલા બેચેન છે અને રાત્રે ઊંઘી શકતો નથી. આમિરની ફિલ્મ ગુરુવારે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આમિરની છેલ્લી ફિલ્મ “ઠગ્સ ઑફ હિન્દોસ્તાન” 2018માં આવી હતી, પરંતુ તે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.

આમિર ખાનની ખરાબ હાલત
PVR સિનેમાના 25 વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં, ખાને (57) કહ્યું, “હું ફિલ્મની રિલીઝને લઈને ખરેખર નર્વસ છું. હું 48 કલાકથી સૂઈ શક્યો નથી… હું ઓનલાઈન ચેસ રમું છું, મારી જાતને વ્યસ્ત રાખવા પુસ્તકો વાંચું છું. મને લાગે છે કે હું 11 ઓગસ્ટ પછી જ ઊંઘી શકીશ. મને લાગે છે કે અદ્વૈત ચંદન (નિર્દેશક) અને હું ફિલ્મ રિલીઝ થયા પછી જ શાંતિથી સૂઈ જઈશું.

‘લાલ સિંહ ચઢ્ઢા’માં પણ કરીના
‘લાલ સિંહ ચઢ્ઢા’માં કરીના કપૂર ખાન, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. કાર્યક્રમ દરમિયાન ખાને પ્રેક્ષકોને ફિલ્મ જોવા માટે થિયેટરોમાં આવવાની તેમને ફિલ્મ જોવા માટે અપિલ કરી અને કહ્યું કે આ વર્ષોથી ઘણા લોકોની મહેનતનું ફળ છે. તેણે કહ્યું, ‘મારા કોઈ પણ કૃત્યથી જો કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે દુઃખી છું. હું કોઈને દુઃખી કરવા માંગતો નથી. મને લાગે છે કે જો કેટલાક લોકો મારી ફિલ્મ જોવા નથી માંગતા તો હું તેનું સન્માન કરીશ.

ફિલ્મના બહિષ્કાર પર આમિરે શું કહ્યું?
ફિલ્મના બહિષ્કારને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા કોલ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ખાને કહ્યું, “પરંતુ હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો ફિલ્મ જુએ. અમે સખત મહેનત કરી છે. ફિલ્મ નિર્માણ એક ટીમ પ્રયાસ છે. આમાં હું એકલો નથી.