માતા હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, “મોદી એક દિવસ બનશે PM”

પીએમ મોદીના માતા હીરાબાનું નિધન થયું છે. બુધવારે તેમની તબિયત સારી ન હોવાના લીધે તેમને અમદાવાદની યુ એન મહેતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ માતાના અવસાન પર ટ્વીટ કરીને લખ્યું કે શાનદાર શતાબ્દીનું ઈશ્વર ચરણોમાં વિરામ મા મે હંમેશા તે ત્રિમુર્તિની અનુભૂતિ કરી છે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે.

હું જ્યારે તેમને 100માં જન્મદિવસ મળ્યો તો તેમણે એક વાત કરી હતી જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ લો, પવિત્રતાથી જીવો. એટલે કે કામ કરો બુદ્ધિથી અને જીવન જીવો શુદ્ધિથી. હીરાબાના નિધનથી શોકનો માહોલ છે. ત્યારે આજે અને તમને હીરાબા સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વિશે જણાવીશું. 2019ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સત્તા પર પાછા ફરેલા નરેન્દ્ર મોદીએ 30 મેના રોજ પીએમ તરીકે શપથ લીધા હતા. અમે તમને પીએમ મોદીની માતા હીરાબાનો જૂનો પરંતુ એક દુર્લભ ઇન્ટરવ્યુ બતાવી રહ્યાં છીએ, જેમાં તેઓ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે તેમનો પુત્ર એક દિવસ દેશનો પીએમ બનશે. હીરાબેને આ આગાહી કરી હતી ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના પૂર્ણકાલીન મુખ્યમંત્રી પણ બન્યા ન હતા.

હીરાબા એ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના બાળકોને ઉછેર્યા. પીએમ મોદી પણ પોતાની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરવાનું ક્યારેય ભૂલતા નથી. સપ્ટેમ્બર 2015માં જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સાથે ટાઉનહોલ સેશન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તેમની માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમના પિતાજી હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ પોતાના છ બાળકોને ઉછેરવા અને ખવડાવવા માટે મારી માતા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી, પાણી ભરવાનું કામ કરતી હતી.