ઉત્તરાયણમાં વધતા જતા અકસ્માતને અટકાવવા માટે પાલિકાએ લીધો આ નિર્ણય, 12 રૂટ પર મફત આપશે બસની સેવા

ઉત્તરાયણના દિવસે કાતીલ દોરીથી અનેક અકસ્માતો સર્જાય છે અને કેટલાયના જીવ જાય છે. આ દિવસે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ઉત્તરાયણ પર્વ નિમિતે ભરૂચ નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચ સિટી બસ સેવા બે વર્ષ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી.
ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. દરમિયાન રક્ષાબંધન પર્વે બે વખત ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો. જેનો 14 હજારથી વધુ બહેનોએ લાભ લીધો હતો. હવે ઉત્તરાયણ પર્વે 14 જાન્યુઆરી શનિવારે સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં મફત મુસાફરીની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે.

શું કહ્યુ નગર પાલિકાનાં પ્રમુખે: ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે ખરીદી, કામકાજ, મિત્રો, સગા સંબંધી, પર્વની ઉજવણી કરવા નીકળતા શહેરીજનોની સુવિધા તેમજ સલામતી માટે સિટી બસમાં દિવસભર મફત મુસાફરીનો નિર્ણય લેવાયો છે. જેથી કરી મોપેડ, બાઇક ઉપર જતા આવતા વાહન ચાલકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની નિઃશુલ્ક સર્વિસનો મહત્તમ લાભ લે.

નિઃશુલ્ક લાભ લેવા ભરૂચ પાલિકાની અપીલ: મકર સંક્રાંતિએ વાહનચાલકો પતંગના જીવલેણ દોરા, અકસ્માતનો ભોગ બની શકે છે. જેનાથી બચવા તેઓ સિટી બસની મુસાફરી કરી સલામત રહી શકે છે. શનિવારે ઉત્તરાયણએ સવારથી જ તમામ 12 રૂટ પર દોડતી બસમાં ભરૂચની પ્રજા અને લોકો દિવસભર મફત મુસાફરી કરી શકશે. પોતાના વાહનોનો ઉપેયોગ ટાળી વધુમાં વધુ સિટી બસ સેવાનો નિઃશુલ્ક લાભ લેવા ભરૂચ પાલિકા દ્વારા શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.