સુરતના સોનગઢ નજીક ST બસ, ટ્રક અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ અકસ્માત, 8 લોકોના મોત, 20થી વધારે લોકો ઘાયલ

રાજ્યમાં વધુ એક વખત મોટા અકસ્માતની ઘટના આવી સામે, સુરતના સોનગઢના પોખરણ ગામ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાનું જણાય છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. અને 20 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે, સોનગઢના પોખરણ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે 56 પર GJ 18 Z 6468 નંબરની એસ ટી બસ, ટ્રક નંબર GJ 02 XX 6588 અને ક્રૂઝર જીપ નંબર MH 41 AS 5309 વચ્ચે ટ્રિપલ અકસ્મતા સર્જાયો હતો.

એસટી બસ કુસલગઢ થી ઉકાઈ તરફ જતી હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રિપલ અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ અગાઉ આણંદ નજીક વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રક પાછળ ઇકો કાર અથડાતા 3 લોકોના મોત થયા હતા. વડોદરાથી ડાકોર જતા યુવાનોને અકસ્માત નડ્યો હતો. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ખંભોળજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરવામાં આવી હતી. ટ્રક ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

થોડા દિવસો પહેલા લીંબડી- અમદાવાદ હાઈવે ઉપર પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના ચોરણીયા ગામના પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણે વાહનોના આગળના ભાગના ભુક્કા બોલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.