વસંત પંચમી પર માતા સરસ્વતીને પીળી વસ્તુઓ અર્પણ કરો, તેનું મહત્વ શું છે.

વસંત પંચમી પર માં સરસ્વતીને પીળા રંગની વસ્તુ અર્પણ કરવાનો રીવાજ કેમ છે, જાણો તેમની પૂજા કેવી રીતે કરવી. મહા માસના સુદ પખવાડિયાની પાંચમ તિથીને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને જ્ઞાનની દેવી માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને તેમને તેમની પસંદગીની વસ્તુ અર્પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓ માટે આ દિવસ ખુબ જ વિશેષ માનવામાં આવે છે માતા સરસ્વતીને વસંત પંચમીના દિવસે પીળી વસ્તુ અર્પણ કરવાનો રીવાજ છે. અહીં સુધી કે માતાના ભક્ત પણ આ દિવસે પીળા વસ્ત્ર જ ધારણ કરે છે. આ વખતે વસંત પંચમીનું પર્વ 5 ફેબ્રુઆરી શનિવારના દિવસે ઊજવવામાં આવશે. આવો જાણીએ કે વસંત પંચમીના દિવસે પીળા રંગને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે?

વસંત પંચમી ઉપર પીળા રંગને આ કારણે માનવામાં આવે છે શુભ : આ બાબતમાં જ્યોતિષ નિષ્ણાંત ડૉ. અરવિંદ મિશ્રાના માનવા મુજબ ધાર્મિક રીતે પીળો રંગ હંમેશા શુભ માનવામાં આવે છે. આ રંગ સાદગી અને સાત્વિકતાનો રંગ માનવામાં આવે છે. તે ઉપરાંત મહા માસમાં કડકડતી ઠંડી ઓછી થઇ જાય છે અને હવામાન પ્રફુલ્લિત બની જાય છે. ઝાડ છોડ ઉપર નવા પાંદડાઓ, ફૂલ-કળીઓ ખીલવા લાગે છે અને ખેતરોમાં સરસીયાનો પાક લહેરાવા લાગે છે.

સરસીયાના ફૂલ પીળા હોય છે. આ દ્રશ્ય જોઈને લાગે છે કે કુદરત પોતાનો શૃંગાર પીળા રંગથી કરી રહી છે. આ ઋતુમાં માતા સરસ્વતીનો જન્મ દિવસ ઊજવવામાં આવે છે. તેથી માતાને કુદરતના આ વિશેષ રંગની વસ્તુ એટલે પીળા રંગના વસ્ત્ર, પીળો ભોગ, પીળા ફળ, પીળા ફૂલ વગેરે અર્પણ કરવાનો રીવાજ છે. જ્ઞાનનું પ્રતિક છે પીળો રંગ : પીળો રંગ સમૃદ્ધી, એનર્જી, પ્રકાશ અને આશાવાદનું પણ પ્રતિક છે. તે તમારા મગજને પણ એક્ટીવ કરે છે અને તમારો ઉત્સાહ વધારે છે. તે તમારા મગજની નકારાત્મકતા દુર કરે છે અને તેને સકારાત્મકતા તરફ લઇ જાય છે. એટલે પીળો રંગ અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઇ જવાવાળો રંગ છે. આ રીતે વસંત પંચમીના દિવસે પીળા રંગની વસ્તુ માતા સરસ્વતીને અર્પણ કરીને આપણે માં સરસ્વતીને જ નહિ પણ પ્રકૃતિ પ્રત્યે પણ સન્માન અને આભાર વ્યક્ત કરીએ છીએ.

વસંત પંચમીના દિવસે આ રીતે કરો માતાની પૂજા : આ વખતે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન વગેરે કરીને પીળા વસ્ત્ર પહેરો અને મનમાં માતાની પૂજા કે વ્રતનો સંકલ્પ લો. ત્યાર પછી એક બાજઠ ઉપર પીળું વસ્ત્ર પાથરીને તેની પર માં સરસ્વતીની મૂર્તિ રાખો. તેમને પીળા વસ્ત્ર, પીળું ચંદન, હળદર, કેસર, હળદરથી પીળા કરેલા ચોખા, પીળા ફૂલ અર્પણ કરો અને પીળા મીઠા ચોખાનો ભોગ ચડાવો.

જો તમે વિદ્યાર્થી છો તો તમારા પુસ્તકો માતાની સામે મુકો અને તેની પણ પૂજા કરો. અને જો સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો વાદ્ય યંત્ર માતાની પૂજા સમક્ષ રાખો અને તેની પણ પૂજા કરો. ત્યાર પછી આરતી અને સરસ્વતી વંદના કરીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરો.