સિદ્ધપુરમાં છેલ્લા ચાર દિવસથી પાણી ન આવતાં પાલિકાએ ખોદકામ કર્યું તો એક પછી એક માનવ અવશેષો મળ્યા

સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું, જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી.

પાઇપલાઇનમાંથી કોઈ અજાણી યુવતીના મૃતદેહના કેટલાક અવશેષો મળ્યા હતા, જેથી આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.યુવતીનો મૃતદેહના કોહવાઇ ગયેલી હાલતમાં અવશેષો મળતાં પાલિકાની ટીમે તરત પોલીસને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

હાલ તો મૃતદેહના અવશેષોને પીએમ અર્થે ખસેડી આ લાશ કોની છે અને પાણીની પાઇપલાઇનમાં કઇ રીતે આવી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સ્થાનિક શ્રદ્ધાબેન દવેએ જણાવ્યું હતું કે, અમારા મહોલ્લામાં છેલ્લા ચાર દિવસથી પાણી વાસ મારતું આવતી હતું. અમે અમારા કોર્પોરેટરને વાત કરતા નગરપાલિકા દ્વારા ત્રણ દિવસથી ખોદકામ કરતા આજે મૃતદેહ મળ્યો છે પણ કોનો છે તે જાણી શકાયું નથી.