શહીદ મહિપાલસિંહના ઘરે દીકરીનો જન્મ,પરિવારે કહ્યું દીકરીની ઇચ્છા હશે તો તેને પણ ડિફેન્સ સર્વિસમાં મૂકીશું

અમદાવાદ (Amdavad ):આતંકીઓને જડબાતોડ જવાબ આપતા ગુજરાતના વીર સપૂત મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા હતા. તેમના પત્ની ગર્ભવતી હતા, અને દીકરીનું મોઢું જુએ તે પહેલા જ તેઓ શહીદ થયા હતા ત્યારે મહિપાલસિંહ વાળાના ઘરે પુત્રીનો જન્મ થયો છે.

પુત્રીનું નામ વિરલબા રાખ‌વામાં આવ્યું છે. પત્ની વર્ષાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. પુત્રીનો જન્મ થયા બાદ વર્ષાબાએ શહીદ વીરનાં કપડાંનો સ્પર્શ કરી અશ્રુભીની આંખે પુત્રીને હાથમાં લીધી હતી.

વર્ષાબાએ વીરગતિ પામેલા પતિના કપડાને હાથ લગાડ્યા બાદ દીકરીને સ્પર્શ કર્યો હતો. ત્યારે આખો પરિવાર ચોધાર આસુંએ રડી પડ્યો હતો. પરિવારે જણાવ્યું કે, જો દીકરી મોટી થશે અને તેને ડિફેન્સમાં જવાની ઈચ્છા હશે તો તેને મોકલીશું.

પતિને ગુમાવનાર વર્ષાબાએ પતિના અંતિમ વિદાય વખતે કહ્યુ હતું કે, જે તેને પુત્ર જન્મશે તો તેને ભારતીય સેનામાં મોકલશે. આમ, ચાર દિવસ પહેલા જે પરિવારે દીકરો ગુમાવ્યો, તે વાળા પરિવારને ફુલ જેવી દીકરીની ભગવાને ભેટ આપી.