હીરાબા હતા PM મોદીની પ્રેરણા 18-18 કલાક કામ કરવા માટે કહેતા હતા

PM મોદીના માતા હીરાબાનું આજે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 3.30 વાગ્યે નિધન થયું છે. મહત્વનું છે કે આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું. તેઓને તબિયત સારી ન હોવાને કારણે 28 ડિસેમ્બર 2022ના રોજ આમદવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી આ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદી અમદાવાદ આવવા માટે નીકળી ગયા છે. તેમને યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ પીએમ મોદી તાબડતોબ દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા અને માતાના ખબર અંતર પુછ્યા હતાં.

પીએમ મોદી અને તેમના માતા વચ્ચે જે પ્રેમાનુંબધ હતો તે તો જગજાહેર છે. વડાપ્રધાન જ્યારે પણ અમદાવાદ આવતા ત્યારે માતાની ખાસ મુલાકાત લેતા જ હતા. હીરાબા 100માં જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ એક મોટો લેખ પણ લખ્યો હતો અને માતાની અદભૂત વાતો વાગોળી હતી. તે સમયે વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પણ માતા હીરાબા વિશે પણ ઘણી બધી વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આજે આખી દુનિયા કહે છે, પીએમ મોદી દિવસમાં 18 કલાક કામ કરે છે.

પરંતુ તેમને તેમની માતા હીરાબા પાસેથી પ્રેરણા મળી હતી. તેમણે કહ્યું કે, હીરાબા તેમના જીવનના 100 વર્ષ પૂરા કર્યા છે, આટલું લાંબુ જીવવાનું રહસ્ય તેમણે કરેલો સંઘર્ષ છે. હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો, લગ્ન પછી તે વડનગર શિફ્ટ થઈ ગયા હતા. પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, મારી માતાના લગ્ન થયા ત્યારે તેમની ઉંમર માત્ર 15-16 વર્ષની જ હતી. તેમની આર્થિક સ્થિતિ અને પારિવારિક સમસ્યાઓના કારણે તેમને ક્યારેય ભણવાની તક મળી ન હતી.

મારી માતા અભણ હતી, પરંતુ તે ઈચ્છતી હતી કે તેના તમામ બાળકો વાંચન અને લેખન દ્વારા શિક્ષિત બને. પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે અમારી પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા, પરંતુ માતાએ ક્યારેય પૈસા ઉછીના લીધા ન હતા અને બાળકોના ભણતરની ફી કોઈને કોઈ કામ કરીને ચૂકવી દેવાની ખાતરી કરી હતી. ઉપરાંત, પ્રહલાદ મોદીએ જણાવ્યું કે, માતા હીરાબા તમામ ઘરગથ્થુ ઉપચારો જાણતી હતી. વડનગરમાં તે નાના બાળકો અને મહિલાઓની સારવાર કરતી હતી. એ જમાનામાં સ્ત્રીઓ પોતાની તકલીફો બહાર કહી શકતી ન હતી, તેથી તેઓ હીરાબા પાસે તેમની સારવાર કરાવતી હતી. પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું કે, મારી માતા ઘણા ઘરગથ્થુ ઉપચારો જાણતી હતી, માતા ભલે અભણ હતી, પરંતુ અમારું ગામ તેમને ડૉક્ટરના નામથી બોલાવતું હતું.