અમદાવાદમાં આજથી મેટ્રો ટ્રેનમાં વધુ ચાર કલાકનો વધારો, દર 15 મિનિટે મળશે ટ્રેન

અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદીઓ માટે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા સવારે 7:00થી રાત્રે 10:00 સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આપને જણાવીએ કે, પહેલા મેટ્રો ટ્રેનનો સમય સવારે 9થી રાતનાં આઠ વાગ્યા સુધીનો હતો. 30મી સપ્ટેમ્બર 2022ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થલતેજ અને વસ્ત્રાલ વચ્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. જે પછી મેટ્રો રેલમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધા પર જનારા લોકો માટે મેટ્રો ટ્રેન ખૂબ જ સુવિધાજનક છે. ત્યારે વિદ્યાર્થીઓ અને નોકરીયાતોએ ગુજરાત મેટ્રો રેલ કંપનીને મેટ્રો ટ્રેનનો સમયગાળો અને ફ્રીકવન્સી ઘટાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જે પછી ગુજરાત મેટ્રો રેલ કંપની દ્વારા સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હવે દર 15 મિનિટે મળી રહેશે ટ્રેન ગુજરાત મેટ્રો રેલ કંપનીને અમદાવાદ મેટ્રો ફેસ-1 નું સમયપત્રક જે સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધીનું હતુ. તેને વધારવા માટે વિવિધ રજૂઆતો મળી હતી. ત્યારે હવે મેટ્રો ટ્રેનની સમય મર્યાદા વધારીને હંગામી ધોરણે સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી પૂર્વથી પશ્ચિમ રૂટ સ્ટેશન પર દર 18 મિનિટમાં મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી મળતી હતી. તો ઉત્તર-પશ્ચિમ રુટ પર 25 મિનિટે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી છે. જો કે હવે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી ઓછી કરવા પર એટલે કે 18 કે 25 મિનિટના સ્થાને 15 મિનિટમાં જ મેટ્રો ટ્રેન મળી રહેશે. આ સંદર્ભમાં વિશેષ કરીને વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા આજથી એટલે તારીખ 30મી જાન્યુઆરી, 2023ના રોજથી અમલમાં આવે તે રીતે હાલના 09થી રાતનાં 08ની સમય મર્યાદા વધારીને સવારે 7થી રાત્રે 10 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરાયો છે.

હાલ માંગ જોતા પૂર્વ-પશ્ચિમમાં દર 18 મિનિટે અને ઉત્તર-દક્ષિણમાં દર 25 મિનિટે ટ્રેનની વ્યવસ્થા હતી. જેને મુસાફરોની સંખ્યા જોતાં તેનો દર 15 મિનિટ (પીક સમય)ના ગાળા સુધી કરવાની તૈયારી રાખેલ છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રકનો નિર્ણય લેવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ દ્વારા લેવાયેલા ટ્રેનના સમયપત્રકના ફેરફાર અંગેના નિર્ણયથી મુસાફરોને ઘણો મોટો ફાયદો રહેશે. હાલ આ નિર્ણય હંગામી ધોરણે એક મહિના માટે લેવામાં આવ્યો છે. જો મુસાફરોની સંખ્યા વધુ રહેશે, તો આ નિર્ણય કાયમી કરવા પર વિચારણા થઇ શકે છે.