સુરતમાં સ્કૂલના શિક્ષિકાએ બીમારીના કારણે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું: બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

સુરત (Surat): સુરતમાં આપઘાતના કેસોમાં આજે એક નવા કેસનો ઉમેરો થયો છે. મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં ડૉ. હેમલતાબેન રાણા પરિવાર સાથે રહેતા હતા. ઘણા વર્ષોથી હેમલતાબેન જીવનભારતી પ્રવૃત્તિ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.

શિક્ષિકાએ ઘરે એકલતાનો લાભ લઈને દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું. આ સાથે જ શિક્ષિકાએ સુસાઇડ નોટમાં બીમારીના કારણે પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.પતિ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે, હેમલતાને છેલ્લા 15 વર્ષથી મગજની બીમારી ટ્રાયઝોનીલ ન્યુરોશિયા હતી. આ બીમારીથી દૂર થવા ચાર જેટલા ઓપરેશન કરાવ્યા હતા. જો કે, છેલ્લા 15થી 30 દિવસથી સતત દુખાવો રહેતો હતો. જેથી ખૂબ જ દુઃખી રહેતી હતી.

તેમને એક દીકરી ડૉક્ટર છે અને દીકરો અભ્યાસ કરી રહ્યો છે. ડૉ. હેમલતાબેન રાણા બીમારીથી કંટાળી ગંભીર પગલું ભરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું છે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષિકાના આપઘાતના પગલે બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

શિક્ષિકાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને ટ્રાયઝોનીલ ન્યુરોશિયાનો પ્રોબ્લેમ લગભગ 15 વર્ષથી સતાવે છે. ઘણા ઓપરેશન, ઘણી દવા કરી પરંતુ, કંઈ ફરક પડતો નથી. અત્યારે નસના દબાણની તીવ્રતા એટલી બધી વધી ગઈ છે જે હવે જીવન જીવવાનું દુષ્કર લાગી રહ્યું છે. તેથી હું મોતને વ્હાલુ કરું છું. જેને માટે મારા કુટુંબના કોઈપણ સભ્ય જવાબદાર નથી.

ઓમ શાંતિ