સુરતનાં વેપારીએ કર્યો આપઘાત, અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું કે જાણીને રહી જશો દંગ

એક લીટીની સુસાઈડ નોટમાં મુંબઈના વેપારી ગૌતમ ચૌહાણને લીધે આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ મુંબઈના વેપારીએ રૂ.25 લાખનું પેમેન્ટ કરવાને બદલે એલફેલ વાતો કરતા ઉધનાના પ્લાસ્ટીક વેપારીએ પોતાના ગોડાઉનમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતી. તેની પાસેથી મળેલી થેલીમાંથી એક બુકમાં એક લીટીની સુસાઈડ નોટમાં વેપારીએ મુંબઈના વેપારીને લીધે આત્મહત્યા કરી રહ્યો છું તેવો ઉલ્લેખ કર્યો હતો. જેથી ઉધના પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

ભાઈ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ગયો ને પાછળથી આપઘાત

મૂળ જૂનાગઢના કેશોદના વતની અને સુરતમાં ભેસ્તાન ગાર્ડનની સામે આશારામનગરમાં રહેતા હિરેનભાઇ ગોપાલભાઇ પાઘડાળના અપરણિત ભાઈ ઉદય ( ઉ.વ.32 ) સાથે ઉધનામાં શ્રીજી પ્લાસ્ટીકના નામે પ્લાસ્ટીકના સામાનનો હોલસેલ વેપાર કરે છે. સામાન મુકવા તેમણે ઉધના રોડ નં.8 જીવરાજ ચાની ગલીમાં ખાતા નં.116 માં ગોડાઉન પણ ભાડે રાખ્યું છે. હિરેનભાઈ ગત 16 મીના રોજ અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના સેવાકાર્યમાં હાજર હતા. ત્યારે સવારે પત્ની પારુલે ફોન કરી જાણ કરી હતી કે તેમનો ભાઈ ઉદય વહેલી સવારથી ગોડાઉન ઉપર ગયો છે અને ફોન ઉપાડતો નથી. હિરેનભાઈએ પણ અવારનવાર ફોન કર્યા હતા પણ ઉદય ફોન ઉપાડતો ન હોય મિત્ર મિતુલને ગોડાઉન ઉપર મોકલ્યો હતો.

ગોડાઉનમાં છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો

મિતુલે ત્યાં જઈ જોયું તો શટર અંદરથી બંધ હતું. આથી આજુબાજુના લોકોને સાથે રાખી શટર ઉંચુ કરી જોયું તો ઉદય છતના હુક સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા ઉધના પોલીસ દોડી ગઈ હતી અને ઉદયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

સુસાઈડ નોટ મળી આવી

સુરત દોડી આવેલા હિરેનભાઈએ ઉદયની અંતિમવિધિ પતાવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે ગોડાઉનમાં ઉદયની લાશ પાસે એક થેલીમાંથી નાની બીલબુકના લીટીવાળા પાનામાં લાલ બોલપેનથી ગુજરાતીમાં લખેલી એક સુસાઈડ નોટ મળી હોવાનું જણાવ્યું હતું. તેમાં લખ્યું હતું કે આ ગૌતમ મુંબઈમાં 25 લાખ જેવી રકમ ન આપતા હું ફસાઈ ગયો છું, એટલે આ કરું છું. લિ.ઉદય.

ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો

પોલીસે હિરેનભાઈની આ અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બંને ભાઈઓએ મુંબઈના વેપારી ગૌતમભાઇ પ્રવીણભાઇ ચૌહાણ ( રહે. 4/293, ટાટા પાવરહાઉસ, માગાતાને ડેપો, મુંબઇ, મહારાષ્ટ્ર ) ને ઓગષ્ટ મહિનાથી જે માલ આપ્યો હતો અને માલ ખરીદવા એડવાન્સ આપ્યા હતા તે કુલ રકમ રૂ.25 લાખ નહીં આપી તે વાયદા કરતો હતો અને એલફેલ બોલી પૈસા આપવા ઈન્કાર કરતો હોય તેમને દેવું થઈ ગયું હતું. તેથી ઉદય છેલ્લા બે મહિનાથી ચિંતામાં હતો. ઉધના પોલીસે આ હકીકતના આધારે હિરેનભાઈની ફરિયાદના આધારે ગૌતમ ચૌહાણ વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.