સુરતમાં બનેલા તિરંગા દેશના ખૂણે ખૂણે લહેરાશે, સુરતમાંથી રોજે રોજ 10 લાખ તિરંગા દેશના અલગ અલગ રાજ્યોમાં પોસ્ટ દ્વારા દરેક રાજ્યમાં મોકલાઈ રહ્યા છે,

સુરત (Surat ):ટેક્સટાઇલ સિટી સુરતમાં હાલ સ્વતંત્રતા પર્વને લઈને  લાખોની સંખ્યામાં ઉદ્યોગકારો તિરંગા બનાવી રહ્યા છે. જે દેશના ખૂણે ખૂણે જશે. કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા આ વર્ષે પણ દરેક શહેર સુધી તિરંગા પહોંચી રહે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

એની જવાબદારી ટેક્સટાઇલ સિટી સુરતને સોંપવામાં આવી છે. સુરતના પાંડેસરા, સચિન, ઈચ્છાપોર સહિત ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં હાલ લાખોની સંખ્યામાં તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રોજેરોજ દેશભરનાં અલગ અલગ રાજ્યોમાં મોકલી શકાય એવી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે.

તૈયાર થયેલા આ તિરંગાઓ મોકલવાની જવાબદારી પોસ્ટ વિભાગને આપવામાં આવી છે. સુરતના પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર થયેલા તિરંગાઓનું માન-સન્માન જળવાઈ રહે એ રીતે પેકિંગ કરીને મોકલવાની વ્યવસ્થા કરી છે. છેલ્લા પાંચ દિવસથી રોજેરોજ સુરત પોસ્ટ વિભાગ દ્વારા સરેરાશ 10 લાખ જેટલા તિરંગાઓ જુદાં જુદાં રાજ્યનાં શહેરોમાં પહોંચાડાઈ રહ્યા છે.

ગત વર્ષે પોસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ભારતમાં સવા કરોડ જેટલા તિરંગાઓ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ લોકો પોસ્ટ વિભાગની સાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી તિરંગા મેળવી શકે એવી વ્યવસ્થા કરી છે. માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ આ કાર્ય માટે કાર્યરત નથી, પરંતુ પોસ્ટ વિભાગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે . સમગ્ર દેશની પોસ્ટ ઓફિસમાંથી આ તિરંગાઓ લોકો મેળવી શકશે. એ માટે અન્ય રાજ્યોમાં જરૂર હોય ત્યાં તિરાંગાઓ પેકિંગ કરી રોજ ટ્રેન મારફત પહોંચાડવામાં આવી રહ્યા છે.